સુરત
સુરતના વેસુ વાસ્તુગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતી જ્યોતિ સાહિલ ગોગીયા (૩૩)ના પતિ સાહિલ કોલ્ડ્રિંક્સની એજન્સી ધરાવે છે. એમટેક સુધીનો અભ્યાસ કરી ફરીદાબાદમાં પ્રોફેસર તરીકે નોકરી કરતી જ્યોતિના ૫ વર્ષ પહેલા જ સાહિલ સાથે બીજા લગ્ન થયા હતા. સાહિલના પણ આ બીજા લગ્ન હતા. બન્નેને સંતાનમાં બે પુત્ર છે. જ્યોતિએ ઘરમાં ફાંસો ખાધો હતો. બનાવની જાણ થતા ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી. સાસરિયાઓ દહેજ માટે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ પિયર પક્ષે કરી આપઘાત અંગે પણ શંકા વ્યક્ત કરી અગ્નિદાહનો ઈન્કાર કર્યો હતો. પીએમ રૂમ બહાર બંને પક્ષ સામસામે આવી ગયા હતા. મૃતક જ્યોતિના પિયર પક્ષ દ્વારા અનેક આક્ષેપો કરાયા હતા. દહેજ માટે જ્યોતિને પતિ સાહિલ, સસરા સોહનલાલ, નણંદ શિલા અને સાસુ ત્રાસ આપતા હતા. જ્યોતિએ એમટેક સુધીનો અભ્યાસ કર્યો હોવાથી લગ્ન પહેલા ફરીદાબાદમાં પ્રોફેસર તરીકે નોકરી કરતી હતી. લગ્ન બાદ તેને અહીં સુરતમાં નોકરી પણ કરવા દેતા ન હતા. આપઘાત બાદ પણ સાસરિયાઓએ સમયસર પિયરમાં જાણ પણ કરી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યોતિ સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે સાહિલનો ફોન જ્યોતિ પર આવ્યો હતો. જેથી જ્યોતિએ પતિ સાથે વાત કર્યા બાદ કોલ કરવા કહ્યું હતું. પરંતુ તેનો કોલ આવ્યો ન હતો અને થોડા સમય બાદ જ્યોતિએ કંઈક કરી લીધું હોવાનો પડોશીનો ફોન આવ્યો હતો. સાસરિયાઓ દ્વારા દહેજની માગ કરાતી હતી.સુરતના વેસુમાં વેપારીની પત્નીએ રહસ્યમય સંજાેગોમાં ફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાના આપઘાત બાદ પોસ્ટમોર્ટમ રૂમ બહાર બન્ને પરિવારો આમને સામને આવી ગયા હતા. સાસરિયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ ગુજારાતો હોવાના પિયર પક્ષે ગંભીર આક્ષેપ કરી આપઘાત અંગે શંકા વ્યકત કરતા સિવિલમાં મૃતકનું પેનલ પીએમ કરાયું હતું. ત્યારે પોલીસમાં પતિ, સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.
