ઓડીસા
રશિયા-યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મળતી માહિતી મુજબ યુક્રેનની સેનાના તમામ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે અને અહીં સતત ગોળીબાર ચાલુ છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આમાં સૌથી વધુ નુકસાન ઓડેસાને થયું છે. રશિયા યુક્રેનના લશ્કરી માળખા પર હાઈટેક શસ્ત્રોથી હુમલો કરી રહ્યું છે. તે જ સમયે, રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, તે યુક્રેનના શહેરો પર મિસાઇલ અથવા તોપખાનાથી હુમલો નહીં કરે. રશિયાના સૈન્ય ઓપરેશનથી નાગરિકોને કોઈ ખતરો નથી. જાે કે, તાજેતરના રશિયન હુમલામાં કેટલાક લોકો માર્યા ગયા છે. ઉચ્ચ-ચોકસાઇવાળા શસ્ત્રો યુક્રેનની સૈન્ય માળખાગત સુવિધા, હવાઈ સંરક્ષણ સુવિધાઓ, લશ્કરી એરફિલ્ડ્સ અને યુક્રેનિયન લશ્કરી ઉડ્ડયનને નિષ્ક્રિય કરી રહ્યાં છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી ટૂંક સમયમાં યુએસ રાષ્ટ્રપતિ બિડેન સાથે વાતચીત કરવાની તૈયારી કરી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનો હેતુ નાગરિકોની સુરક્ષા કરવાનો છે. પુતિને એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે, યુક્રેન દ્વારા આપવામાં આવેલી ધમકીઓના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રશિયાનું લક્ષ્ય યુક્રેનને જાેડવાનું નથી અને યુક્રેનનું “શાસન” રક્તપાત માટે જવાબદાર હશે. પુતિને અન્ય દેશોને ચેતવણી આપી હતી કે, રશિયન કાર્યવાહીમાં દખલ કરવાના કોઈપણ પ્રયાસના “તેમણે અગાઉ ક્યારેય જાેયા ન હોય તેવા પરિણામો આવશે”. તેમણે યુક્રેનને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થવાથી અટકાવવાનો અને મોસ્કોને સુરક્ષાની બાંયધરી માટેની રશિયાની માંગને અવગણવાનો યુએસ અને તેના સહયોગી દેશો પર પણ આરોપ લગાવ્યો હતો. પુતિને કહ્યું હતું કે, તમામ યુક્રેનિયન સૈનિકો જેઓ તેમના શસ્ત્રો નીચે મૂકે છે તેઓ સુરક્ષિત રીતે યુદ્ધ ઝોનમાંથી બહાર નીકળી શકશે. આ દરમિયાન, યુએસ પ્રમુખ જાે બાઈડને યુક્રેન પર “ઉશ્કેરણી વિના અને અકારણ” હુમલો કરવાના રશિયાના ઇરાદાની નિંદા કરી અને વચન આપ્યું કે વિશ્વ “રશિયાને જવાબદાર ઠેરવશે”.
