રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા કેશોદ ખાતે જનકલ્યાણના ત્રીવિધ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમણે તેમણે જૂનાગઢ જિલ્લાની ૨૧ આંગણવાડી કેન્દ્રનું ઈ – લોકાર્પણ તથા જૂનાગઢમાં હાથીખાના ચોક ખાતે અંદાજે રૂ. ૪૮.૬૯ લાખના ખર્ચે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. ઉપરાંત શ્રી અન્ન મીલેટ્સની જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધામાં ઉપસ્થિત રહી આંગણવાડી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.
કેશોદના કેવદ્રા રોડ પરની ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિમાં નારીઓનો ખૂબ મહિમા કરવામાં આવ્યો છે.
વિદ્યાની દેવી સરસ્વતી ધનના દેવી મહાલક્ષ્મીજી, અન્નના દેવી અન્નપૂર્ણાજી તેમજ આપણે ધરતીને પણ માતા સ્વરૂપે માનીએ છીએ. પરંતુ એક સમયે દીકરીઓની માતાની કૂખમાં જ ગર્ભપાત કરવામાં આવતો. આ સ્થિતિમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાયદાકીય ફેરફારોની સાથે સામાજિક બદલાવ માટેની યોજનાઓ પણ અમલમાં મૂકી. પરિણામે આજે જાતિ પ્રમાણ રેશિયોમાં ખૂબ સુધારો જોવા મળ્યો છે.
તેમણે જૂનાગઢ જિલ્લામાં કલરફુલ અને સ્માર્ટ આંગણવાડી કેન્દ્રના ઝડપભેર નિર્માણ માટે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, બાળકોના પોષણની સાથે ધાત્રી માતા અને કિશોરીઓના પોષણ માટે પણ એટલી જ કાળજી લેવી જરૂરી છે.
રાજ્ય સરકારે નારી સંરક્ષણ ગૃહમાં રહેતી બહેનોના લગ્ન પ્રસંગે રૂ.૨૦,૦૦૦ની સહાય આપવામાં આવતી હતી. જેમાં માતબર વધારો કરીને રૂ. ૨ લાખ કરી છે. તેવી જ રીતે કોરોના મહામારીમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીને પાલક માતા-પિતા યોજના હેઠળ રૂ. ૨ લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ કહ્યું કે, હિંસાથી પીડિત અને નિરાધાર બહેનોને કાયદાકીય સહિતની મદદ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર ની યોજના શરૂ કરવામાં આવી છે. આમ, ગુજરાત સરકારે લોકોની સુખાકારી માટે અનેકવિધ પગલાં લીધા છે.
અંતમાં તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને જનસેવા માટે ઉપસ્થિત બહેનોને આશીર્વાદ આપવા માટે જણાવ્યું હતું.
આ પ્રસંગે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, બાળક પ્રથમવાર સુરક્ષિત વાતાવરણમાંથી ઘરની બહાર નીકળી આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ મેળવે છે. ત્યારે બાળકોના ઘડતરમાં આંગણવાડી બહેનોની ખૂબ મોટી ભૂમિકા છે. આ ભૂલકાઓને પોષણક્ષમ આહાર આપવાની સાથે સંસ્કાર આપવાના હોય છે. આમ, આ ખૂબ અઘરું કામ છે. જુનાગઢ જિલ્લા પંચાયતે પણ બાળકોના વિકાસ માટે જરૂરી એવી આંગણવાડી કેન્દ્રનું ખૂબ ઝડપભેર નિર્માણ કર્યું છે. આ સાથે તેમણે મહિલાઓને હિંસાની સ્થિતિમાં કાયદાકીય, આરોગ્ય સહિતની મદદ પુરી પાડતું સખી વન સ્ટોપ સેન્ટર માટે પણ વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા માટે આંગણવાડી બહેનોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમે પ્રસંગોચિત સંબોધન કર્યું હતું.
આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ગીતાબેન વણપરિયાએ શાબ્દિક સ્વાગત અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ચંદ્રેશ ભાંભીએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરપર્સન શ્રીમતી લાભુબેન ગુજરાતી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, પ્રાંત અધિકારી શ્રી કિસન ગરચર સહિતના પદાધિકારી-અધિકારી અને આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


