વરસાદ પછી ઝાલોદ તાલુકાના અસર ગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવતા જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે
વરસાદ થકી થયેલ નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારીશ્રીઓને સૂચના અપાઈ
દાહોદ : સમગ્ર રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતાં જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ વરસાદ થકી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઝાલોદ તાલુકાના અસર ગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમ્યાન કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ઝાલોદ તાલુકામાં આવેલ પંચ ક્રિષ્ના, માટલી ખોટાના માંડલેશ્વર તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનની વિઝીટ કરી ઝાલોદ પ્રાંત કચેરી ખાતે અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. ઉપરાંત ગરાડુ મુખ્ય પ્રાથમિક શાળા, ગરાડુ ગ્રામ પંચાયત તેમજ ગરાડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. એ સાથે તેઓએ જે ઘરોમાં વરસાદના કારણે નુકસાન થયું હોય તેમની પણ મુલાકાત લઇ થયેલ નુકસાનનો તાગ મેળવ્યો હતો.
કલેકટરશ્રીએ રોડ – રસ્તાઓની વાત કરતા કહ્યું હતું કે, જે રસ્તાઓને વરસાદના કારણે નુકસાન થયું છે તેનું પેચવર્ક કરવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે થાય એ માટે પણ સૂચના આપવામાં આવી છે. જે માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નો કરી રહ્યું છે.
મુલાકાત વખતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ સંબંધિત તમામ અધિકારીશ્રીઓને તાત્કાલિક ધોરણે નુકસાનના સર્વેની કામગીરી જલ્દીથી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. અને નુકસાની માટે જે કઈ ચૂકવવા પાત્ર થતું હોય તે તાત્કાલિક પણે ચૂકવવામાં આવે એવી સૂચના આપવામાં આવી હતી. સ્થળ મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારીશ્રી એ. કે. ભાટિયા, ઝાલોદ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી. આર. પટેલ, મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે. એચ. ગઢવી તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર :-ઝેની શેખ






