Gujarat

સુગમ ચૂંટણી સંચાલનના લક્ષ્ય સાથે યોજાયેલા Know Your Polling Station અભિયાનને સાંપડ્‌યો વ્યાપક પ્રતિસાદ

રાજ્યના તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઑફિસર્સ દ્વારા મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદારો પોતાના મતદાન મથકના સ્થળ, મતદાન માટેના જરૂરી પુરાવા અને મતદાન મથક પરની પ્રાથમિક સુવિધાઓ અંગે આગોતરા માહિતગાર થઈ શકે તે માટે તા.૨૮ મે ને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં Know Your Polling Station અભિયાન યોજાયું હતું. સાથે જ મતદાન મથકો પર ગ્રામ્ય કક્ષાએ કાર્યરત કર્મચારીઓ દ્વારા ચુનાવ પાઠશાલા યોજી મહત્તમ મહિલા મતદારો સહપરિવાર મતદાન કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
મતદાર એ સશક્ત લોકશાહીનો આધારસ્તંભ છે.

ચૂંટણીમાં મતાધિકારના ઉપયોગ માટે આવનાર મતદાતા, મતદાન માટેની સુવિધાઓથી સુપરિચિત હોય તે જરૂરી છે. મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજો વિષે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર કયા મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તે અંગે મતદારો મુંઝવણ અનુભવતા હોય છે.

મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે. સુગમ ચૂંટણી સંચાલનના લક્ષ્ય સાથે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના માર્ગદર્શન હેઠળ તા.૨૮ મે ને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં Know Your Polling Station અભિયાન યોજાયું હતું. જેમાં રાજ્યના તમામ મતદાન મથકો પર સવારે ૦૯.૦૦ વાગ્યાથી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી હાજર રહી બુથ લેવલ ઑફિસર્સ દ્વારા મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

પોતાના મતદાન મથક સ્થળ પર આવનાર મતદારોને આગામી તા. ૭ મે ના રોજ યોજાનાર મતદાનના દિવસે કયા પોલીંગ બુથમાં મત આપવા જવાનું છે, મતદાન માટે ઈઁૈંઝ્ર અને તેની અવેજીમાં કયા પુરાવા માન્ય ગણાશે, પીવાના પાણીથી લઈ શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ, દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઓ સહિતની બાબતો અંગે બુથ લેવલ ઑફિસર્સ દ્વારા મતદારોને અવગત કરાવવામાં આવ્યા હતા.

Know Your Polling Station અભિયાન અંતર્ગત નાગરિકોએ પોતાના મતદાન મથકની મુલાકાત લીધી હતી. નાગરિકોએ તેમને મુંઝવતા પ્રશ્નો વિશે બુથ લેવલ ઑફિસર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અંગે સંતોષ વ્યક્ત કરવા સાથે મતદાનના દિવસે મતદારોની સુગમતા માટે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ આગવી પહેલને બિરદાવી હતી.
Know Your Polling Station અભિયાનની સાથે સાથે રાજ્યના તમામ મતદાન મથકો પર ચુનાવ પાઠશાલા યોજાઈ હતી.

જેમાં ગ્રામ્ય કક્ષાએ કાર્યરત તલાટી, આશા વર્કર અને આંગણવાડી વર્કર સહિતના કર્મચારીઓ દ્વારા મહત્તમ મતદારો મતદાન કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ચુનાવ પાઠશાલા અંતર્ગત ચૂંટણી તંત્ર દ્વારા ખાસ કરીને મહિલા મતદારોને મોટી સંખ્યામાં સહપરિવાર મતદાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૭ મે, ૨૦૨૪ ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે મતદારો માટે મતદાનનો અનુભવ સુખદ બની રહે તે માટે રાજ્યભરમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથક સ્થળોની નિયમિત સફાઈ સહિતની બાબતો સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.